Telegram Web
લઘુકથા:પ્રાર્થનાનો સાદ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/call-of-prayer-135208855.html

મિતેષ આહીર ‘એ સુખા, હવે હિસાબ તો કરી જા.’ મોટા તપેલામાં ચા ઉકાળતાં-ઉકાળતાં ડાયાભાઇએ બાજુના પાનના ગલ્લે ઊભેલા સુખાને બૂમ મારી.
સુખાએ જવાબ વાળ્યો, ‘આપી દઈશ. એકાદી મોટી વર્ધી તો મળવા દયો.’ સુખાના હાથમાંથી સોપારીના બે-ચાર દાણા લેતાં લેતાં રવજી બોલ્યો, ‘કેમ, હમણાં ઠંડું હાલે છે?’
સુખો નિસાસાભેર બોલ્યો, ‘હમણાં ભારે કઠણાઇ ચાલે છે. ઘરના ખાડા માંડ પૂરું ત્યાં આ ગાડીનાં કંઈક ને કંઇક ખર્ચા ઊભા જ હોય છે. હવે મારો રામ કંઇક મેરબાની કરે તો હારૂં.’
વાતો કરતાં કરતાં સુખો ગાડીના કાચ લૂછવા માંડ્યો. થોડીવાર માટે હજુ શાંતિ છવાઇ ત્યાં તો બાજુની શિવમ હોસ્પિટલમાં રોકકળ અને દેકારો શરૂ થઇ ગયો. આ રોકકળ ચાલુ થઇ અને બીજી જ મિનિટે સુખાના ખિસ્સામાં રહેલો મોબાઇલ રણક્યો. સુખાએ ફોન ઉપાડી વાત કરી અને પછી મલકાઇને રવજી તરફ જોઈ બોલ્યો, ‘શિવમ હોસ્પિટલમાંથી જ કોલ હતો, ગોંડલનો ફેરો છે.’
રવજી બોલ્યો, ‘જોયું ને? ભગવાને તારી પ્રાર્થનાનો સાદ સાંભળી લીધો ને!’
સુખો બોલ્યો, ‘હા દોસ્ત.’ બોલીને પોતાની એમ્બ્યુલન્સ ગાડીમાં રહેલું શબ મૂકવાનું સ્ટેન્ડ અને સ્ટ્રેચર સરખું કરવાના કામમાં લાગી ગયો.
રવજી મનોમન બબડ્યો, ‘વાહ રે કુદરત વાહ, અજબ છે તારી લીલા હોં. કોઇને રડાવે અને કોઈને હસાવેય ખરો. કોઈની પ્રાર્થના કબૂલ કરવા તારે, કોઈની પ્રાર્થના ઠુકરાવવી પણ પડે છે. અરેરે, સુખાની રોજીરોટીની પ્રાર્થના કબૂલ કરી એ તો સમજાયું, પણ હોસ્પિટલમાં પણ જે જીવે વિદાય લીધી એની જિંદગી માટે પણ પ્રાર્થના થઈ જ હશે ને? ક્યારે કોની પ્રાર્થના કબૂલ કરવી એ માટે કયું ગણિત કામ કરતું હશે? જે હોય તે તારા હિસાબ હે ભગવાન તું જાણ.’
કામ કળા:બાળકના જન્મ પછી જાતીય સુખ ઘટે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/does-sexual-pleasure-decrease-after-childbirth-135208934.html

સમસ્યા: હું અને મારી પત્ની એકબીજાને અત્યંત પ્રેમ કરીએ છીએ. અમારાં લગ્નને 2 વર્ષ થયાં છે. હવે અમે બાળક વિશે વિચારીએ છીએ. તો શું અમારે અત્યારે બાળક કરવું જોઈએ? હું આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છું, પણ ચિંતા એ વાતની છે કે બાળકના જન્મ પછી અમારી સેક્સલાઈફને પહેલાંની જેમ એન્જોય કરી શકીશું?
ઉકેલ : તમારી જેવી મૂંઝ‌વણ બીજાં ઘણાં કપલ અનુભવે છે. બાળક પહેલાં જે રીતે રોમેન્ટિક લાઈફ પસાર થતી હતી એવી જ એન્જોયભરી લાઈફ બાળકના જન્મ પછી રહેશે કે નહીં એની ચિંતા બહુ બધાને થાય છે. કેટલીક સ્ત્રીઓ એવું પણ વિચારતી હોય છે કે તેઓ પહેલાંની જેમ સુંદર નથી લાગતી. આવી અસુરક્ષિતતાની લાગણી અને વિચારોને તેઓ પોતાના સાથી સમક્ષ પણ વ્યક્ત કરતી નથી. તો ઘણી વાર અપૂરતી ઊંઘ, નવજાત શિશુની સતત કાળજી લેવાની ચિંતાને કારણે, માનસિક અને શારીરિક થાકને કારણે તેઓ પોતાના પાર્ટનરને જાતીય સુખ આપી શકતી નથી.
આમ પણ પરિણીત યુગલોને બાળકના જન્મ પછી પહેલાંની જેમ રોમેન્ટિક બનતા સમય લાગે જ છે. એનું કારણ છે કે પ્રસૂતિ પછી સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ જાય છે. હકીકત એ છે કે બાળક જન્મે પછી ઓછામાં ઓછા એક મહિના સુધી યુગલે જાતીય સુખ ન માણવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ પ્રમાણે જ આગળ વધવું જોઈએ.
પુરુષોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પત્ની હમણાં મા બની છે અને શારીરિક પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ છે, તો પહેલાં જેવી સ્થિતિમાં પાછાં આવતા સમય લાગે જ. થોડી કાળજી અને થોડા સમયની જરૂર છે, જે સમજદારીભર્યું પગલું કહેવાય. તેથી દરેક યુગલે એકબીજાની લાગણી અને જરૂરિયાતોને માન આપવું જોઈએ.
સમસ્યા: મારો એક મિત્ર એક ગે સાથે શારીરિક સંબંધ બાંધે છે. એને ડર છે કે એનાથી કોઈ નુકસાન થશે તો?
ઉકેલ: સ્ત્રી-પુરુષના સંબંધો જાણે મજાક બનીને રહી ગયા છે. શાસ્ત્રો પણ કહે છે કે સમલૈંગિકતા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આને કારણે અનેક બીમારીઓ ઊભી થાય છે. લગભગ 95 ટકા સમલૈંગિક કોઈક બીમારીથી પીડાતાં જોવા મળે છે. એક બાળકનો સંપૂર્ણ વિકાસ માતા-પિતા કરી શકે, જ્યારે સમલૈંગિક કપલ એવું ન કરી શકે. તેઓ બાળક પેદા ન કરી શકે. ઘણી બધી એવી વાતો છે જે માતા-પિતા શીખવાડે છે, પણ સમલૈંગિકમાં તે અશક્ય છે.
આ ઉપરાંત બીજી ઘણી બાબતોનું નુકસાન તેમણે ભોગવવું પડે છે. આવનારી નવી પેઢી પર પણ તેની સારી અસર નહીં પડે, કારણ કે બાળક જે જુએ તેવું કરે છે. કુદરતના નિયમ મુજબ સ્ત્રી અને પુરુષ એકબીજા વગર અધૂરાં છે. એકબીજા વિના તેમનું કોઈ અસ્તિત્વ નથી, પણ પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી સાથે રહે ત્યારે કુદરતના આ નિયમનો ભંગ થાય છે.
શારીરિક સંબંધો પણ માણસની મોટી જરૂરિયાત છે. અને એનાથી અપરાધ જેવી પ્રવૃત્તિ પણ અટકે છે, જ્યારે સમલૈંગિકોમાં આવું બનતું નથી. આવી ઘણી બધી બાબતોને કારણે સમલૈંગિકોએ નુકસાન ભોગવવું પડે છે. તેથી આવા સંબંધો યોગ્ય ન કહેવાય. તમે તમારા દોસ્તને આ બાબતો સમજાવજો. હા, સમલૈંગિકોનાં લગ્ન બાબતે કાયદા નવા ભલે બન્યા હોય, પણ સમાજમાં તેમને યોગ્ય સ્થાન નથી મળતું.
મેનેજમેન્ટની ABCD:માનસિક તંદુરસ્તીની ABCD
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/abcd-of-mental-health-135208858.html

બી.એન. દસ્તુર મા નસિક તંદુરસ્તી ઉપર કૉન્સોલિટેડ લેખતી ફરમાયશો થતી રહે છે. પોતાની નજરમાં ઈમેજ
માનસિક તંદુરસ્તી ધરાવનાર ઈનસાન માને છે કે એની જિંદગીમાં એકંદરે બધું ઠીકઠાક ચાલી રહ્યું છે અને બીજી કરોડોની સરખામણીમાં એ બહેતર જિંદગી જીવે છે.
પ્રેમ, હેપ્પીનેસ, આશા, ઉમંગ, ગુસ્સો, અદેખાઈ, ચિંતા, ડર જેવી લાગણીનો અતિરેક ન થાય એનું ધ્યાન રાખે છે.
પોતાની તાકાતો અને મર્યાદાઓનું એને ભાન હોય છે.
સાયકોલોજીની પરિભાષામાં એ ‘ઈન્ટર્નલ’ છે. એનાં વર્તનની જવાબદારી સ્વીકારે છે.
ન બનવાનું બને કે બનવા જેવું ન બને તો એ ડિપ્રેસ થતો નથી. ભૂલોને શિક્ષક ગણે છે, એકની એક ભૂલ ફરી કરતો નથી.
માને છે કે જિંદગીનો હેતુ છે હેપ્પી રહેવાનો અને બની શકે તો બીજાઓને હેપ્પી કરવાનો.
બીજાઓ સાથેના સંબંધો
માનસિક તંદુરસ્તી ધરાવનાર વ્યક્તિને પ્રેમ, મદદ, સાથ, સહકાર આપતા અને લેતા આવડે છે.
માને છે કે કૃતઘ્નતાનું પ્રાયશ્ચિત નથી.
એની સાથે સંમત ન થનારની એ ઈજ્જત કરે છે. એને ન ગમતા બિહેવિયર જોડે પણ પોતાની ખાનદાનીને અનુરૂપ વહેવાર કરે છે.
નાક પકડીને એ વ્યક્તિ કોઈને દોરતી નથી કે દોરવાતી નથી.
માનસિક તંદુરસ્તી ધરાવતી વ્યક્તિ કોઈથી ડરતી નથી, કોઈને ડરાવતી નથી. એને ‘ના’ પાડતાં આવડે છે.
પોતાના જ્ઞાનનું, આવડત, અનુભવનું પ્રદર્શન કરવું પસંદ નથી.
દોસ્તી કરવા, નિભાવવા અને નિખારવા માટે કરવા જેવું બધું જ કરે છે.
જિંદગીના તકાજાઓ
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ, દરેક સમસ્યા ઉપર ‘ચેલેન્જ’નું લેબલ મારી લડતી અને શીખતી રહે છે. ક્યારે બાંય ચડાવવી, ક્યારે સમાધાન કરવું, ક્યારે પીછેહઠ કરવી એની એને ખબર હોય છે.
કાવડિયાની કિંમત સમજે છે. દેખાડા કરવા માટે નાણાં ખર્ચવા એને પસંદ નથી. આવકમાંથી બચત બાદ કરી વધેલી રકમ ખર્ચે છે. ઈ.એમ.ઈ. કઈ જાતનું જાનવર છે એની એને ખબર નથી.
પોતાની તંદુરસ્તી, બેંક બેલેન્સ અને સંબંધો સાચવતાં એને આવડે છે. પોતાની શારીરિક અને આર્થિત તંદુરસ્તીના ભોગે એ ન કરવા જેવું કરતી નથી. સંબંધોમાં જરૂરી મર્યાદાઓ સાચવે છે.
આવી વ્યક્તિ પોતાની જાતને એક ‘પ્રોડક્ટ’ માને છે. જાતમાં સુધારા-વધારા કરી એ છેવટે ‘સિમ્બોલિક પ્રોડક્ટ’ બને છે- સિમ્બોલ ઓફ સક્સેસ. સફળતાનું પ્રતીક.
નિર્ણયો લેવામાં સાવધાની વર્તે છે. નિષ્ણાતોની મદદ લે છે, પણ પરિણામની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે.
જિંદગીને અને માહોલને બહેતર બનાવવા પોતાનાં મૂલ્યો સાથે વધારે પડતી છૂટછાટ આવી વ્યક્તિ લેતી નથી.
સંતોષી રહેવું અને સંતોષી બની રહેવું એ બે અલગ રમતો છે એવું માને છે.
માને છે કે પરિસ્થિતિ ઉપર મનસ્થિતિનું નિયંત્રણ હોય છે.
આવી વ્યક્તિઓ માટે શાયર સાહિર લુધિયાનવી સાહેબે લખ્યું છે-
‘ગમ ઔર ખુશી મેં ફર્ક ન મહસૂસ હો જહાં,
મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા.’
હેલ્મેટ પુરાણ:હમણાં હમણાં દરેક જગ્યાએ પોલીસની હેલ્મેટ માટેની ડ્રાઈવ ચાલે છે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/there-are-police-helmet-drives-going-on-everywhere-these-days-135209059.html

જતીન ભટ્ટ ‘નિજ’ હમણાં હમણાં દરેક જગ્યાએ પોલીસની હેલ્મેટ માટેની ડ્રાઈવ ચાલે છે. જરૂરી જ છે. હું પોતે બે વખત જીવલેણ એક્સિડન્ટથી બચી ગયો છું.
મારો મિત્ર મનુ મને કહે: ‘જતલા, એવું નથી કે હેલ્મેટ ફક્ત જીવ બચાવે, ભાઈઓ, બહેનો બચ્ચાં સહિત હંધાય માટે હેલ્મેટના આડકતરા ફાયદાય છે એ તને ખબર છે?’
‘હેં શું કીધું?’
‘જો, ઘરમાં વેલણના ઘાથી માથું બચાવી શકાય, મારામારી વખતે ગદાની જેમ વીંઝી શકાય, એટલું જ નહીં શાકભાજીની થેલી ભૂલી ગયા હોય તો હેલ્મેટમાં શાક મૂકીને સ્ટીયરિંગ પર લટકાવી દેવાની. અલબત્ત પોલીસ આજુબાજુ ન હોવી જોઈએ, બરાબર?’
‘જબરું લાયો.’
હમણાં હું એક નવી હેલ્મેટ ખરીદવા ગયો. ભાવ પૂછ્યો. તો કહે: વીમો પકવવો હોય તો આ સસ્તી લઈ જાઓ અને પ્રીમિયમ નિયમિત ભરવા હોય તો મજબૂત, ટકાઉ પણ મોંઘી છે એ લઈ જાઓ.’
બોલો છે ને વાત?
પહેલાં તો હેલ્મેટ વજનદાર ચીજ ગણાતી હતી, જે સ્પોન્ડિલાઈટિસ કરી શકતી હતી. હશે, પણ હમણાંની હેલ્મેટ ઓછા વજનવાળી ને વધારે સગવડભરી આવતી હોય છે. જેમકે, તમે કોઈ કળ દબાવો એટલે સનગ્લાસ નીચે ઊતરી જાય. બ્લૂટૂથ પણ આવે. આપણા ટ્રાફિક જવાનો માટે વિથ એસી અને ફેનવાળી હેલ્મેટ. જાત જાતની હેલ્મેટ હવે આવે છે. આના વિશે કોઈને વધારે નોલેજ હોય તો ટોર્ચનો શેરડો ફેંકવા વિનંતી...
કદાચ ફ્યુચરમાં આવી પણ હેલ્મેટ શોધાશે જેમ કે:
હેલ્મેટમાં નાની પિચકારી મૂકેલી હશે જે દબાવવાથી માથા પર નવરત્ન તેલનો છંટકાવ થશે.
હેલ્મેટ પહેરવાથી વાળ જતા રહેશે એવું માનતા લોકો માટે હેર ઓઈલનો છંટકાવ થાય એવી હેલ્મેટ બજારમાં આવી જશે.
ટાલિયાઓ માટે વિગવાળી હેલ્મેટ (ના, ના મારી પાસે આવી નથી, ઓકે?).
પાછળ બેસવાવાળાઓ માટે સાદા કાચની જગ્યાએ વર્ચ્યુઅલ ગોગલ્સવાળી હેલ્મેટ (કદાચ માર્કેટમાં આવી પણ ગઈ હોય અથવા આ વાંચીને નવી શોધ થઈ પણ જાય, ભલું પૂછવું).
સામેથી આવતા વ્યક્તિને તમારી ઓળખાણ ન પડતી હોય તો તમારું નામ હેલ્મેટના કાચ પર સ્ક્રોલિંગ થયા કરે એવી પણ હેલ્મેટ ભવિષ્યમાં આવી શકે.
પાછળ બેઠેલી વાઈફ (તમારી જ ભાઈઓ, ખુશ ન થાઓ) તમારા માથા પર ખરેખર તબલા વગાડે એવી તબલા હેલ્મેટ...
તો સો વાતની એક વાત કે હેલ્મેટ પહેરો અને બીજાને પણ પહેરવાનો આગ્રહ કરો...
હાસ્ય ડેઝર્ટ
એક ભાઈને નાનકડો એક્સિડન્ટ થયો. માથા પર થોડું વાગ્યું હતું. ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે પ્રશ્નો પૂછ્યા, ‘માથા પર કેવી રીતે વાગ્યું?’
‘બાઈક ચલાવતો હતો, સામે પોલીસ ઊભેલી દેખાઈ, પાછળ વાઈફ બેઠેલી, તેની પાસેથી હેલ્મેટ માંગી.’
‘પછી શું થયું?’
‘પછી શું? વાઈફને પ્રેમનો ઉભરો આવ્યો તો એણે મને ચાલુ બાઈકે હેલ્મેટ પહેરાવી.’
‘તો પછી પણ કેમ વાગ્યું?’
‘તેણે હેલ્મેટ તો પહેરાવી પણ કાચ પાછળ રાખેલો.’
મિઠડ઼ી કચ્છી:ગઁ, કુધરતજો પૂજક: કનકપર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/g-worshiper-of-nature-kanakapar-135209046.html

ગો ઠજો નાલો પંજ અખર, ન કાનું ન મંતર.વરી કચ્છીમેં બ સબધ ધાર કરીયું ત ‘ કન’ નેં ‘ કપર’ ભનેં.સજો સૉંનજો નગર કનકપર તાં આય જ.ગૅડ઼ે પટ વીરભૉમ અબડ઼ાસેમેં પાંચાડ઼ે કનાં ઉચાંઇંમેં વસલ ગોઠજી ચૉફેર મૉં ઠારીંધલ મોથારો,ઓતરો નૂંધાતડ઼,ઉગૉણું ભવાનીપર,ડખણૂં સણુંસરો ત વાંઊં કોઠારો.
ગોઠજા પગ઼ ધુએતો કનકાવતી ડેમ નેં વાંયેં ભરા પિંગલેસર માડેવ તિરસુલ ખણી હાજરાહજુર ઐં.છઠ છ મૅંણેં રેલગાડી માડૂઍંજી અચવિંઞ લા અચીંધી. ગોઠમેં જ બાલમિંધર વટા કૉલેજજી ભણતરજી સવગડ઼ આય.બેર,સક્કરટેટી,કારંગા નેં આમાં ત જામ હુવા પ હાંણેં ત સીલરીજે રસમિંજા કોય ધવાઇ વિગરજો ડેસી ગુડ઼ પ ભનેતો.લેખજી સિરુઆતમેં ‘ ગૉં નેં કુધરતજો પૂજક ગોઠ’ જી ગાલ કથા- કિરતન જૅડ઼ી પુંઞાઇવારી આય,ઇંનજી વિગતેં ગાલ કરીયૂં.
ગોઠમેં ગાંઇયૂં હાથણીયેં જૅડ઼યૂં,ગૌમાતાજા છેંણ,મુતર વાડ઼ીયેંમેં ખાતર તરીકૅં વાવરાજેં ઇતરે ડેસી ખેતી કધાખર સજી ધુનીયાંમેં હિતે હૂંણી ખપે.માડૂ આડૂ ગૉંજો જ ખીર પીયેં.મે કે જંગલી જિનાવર ચૅં ઇતરે મેજો મેમા નિપટ નાંય.ખીરજીયું નયૂં વઇંત્યું.મખણ લાય નેં ‘ કનકેસર’ ડેસી ઘે વડી કીંમતેં પ વિકજી વિંઞે.ગોઠજીયેં સૅરીયેંમેં કખ,કાગ઼ર,કચરો ક ચિપટી ધૂડ઼ પ ન લજે.
વાર પિરભૅં,ટાણેં અવસરૅં સૌ કો રાજીપે ગૌમાતા લા ડાંન પુંઞ કરીયેં.મોથારેજી સીમમેં બસૉ એકરમેં ગૌમાતા લા બરુકો ઘા વૅંઢારાજે,સજો ગોઠ ઘા વઢી,ભરીયૂં બધી નેં વથાણજે વાડ઼ેમેં રખે તૅંમેં ગોઠજો ઘરઘરજો માડૂ મૅનત કરેલા વિંઞે.જૅંજે નાલેમેં નીરપ,ધીરપ,મિઠાંસ આય ઍડ઼ા સિવિલ ઍન્જીનીયર પ સોરૉ આનાં મૅનતુ નેં મૉભતીલા વાડ઼ીલાલ પોકાર કમટાંણેં પગ઼વારે નેં વીયૅં ન.મિડ઼ે નિંઢાવડા ‘પિંઢુકો અવસર’ સમજી મૅનત કરીયૅં.ચાય પાણી નેં ખારી ભાંત,છાયજી પિરસાધી ભેરા વિઇ રાજી રાજીયાણાં થઇ ખૅં.કર બારૉય મૅંણાં મેડ઼ો વે ઍડ઼ી હીંયારી ભરલ ‘ ગૉં ગોઠ’ જી ભરકત નેં ભલાઇજો ભેરપો હલે વિઠો.
સજો ગોઠ ખેડૂઍંજો.સજે ગોઠમેં ઘર સઠ પાંસઠ મડ મડ.પ સલારા ખેડૂ.કનકાવતી,કોઠારો,બેરાચીયા નેં મોથારે પટજૅં ડૅમેસૅં ધ્રયલ મિઠી મિટીયાર જિમીનું.હાંણેં ત ડાડેજે ગલેમેં શેષનાગજી અડ઼ીયલ નેં વારલ આંટીવારેજીં મા નરમધા પુજેમેં આય.સજે ગોઠમેં સિરમેટીયાર રસ્તા,કાટખૂંણેં સૅરીયૂં,જભરીયું મૉલાતું,જભરા અંઙણ,પુખ્તા રસ્તા નેં ઘરોઘર મિઠો પાણી પિંઢમૉડ઼ો ટાંકૅંકે સરાર ભરલ જ રખે.કિતે પ અંઙણેંમેં પાણીજા ટાંકા નૈં ઇતરે પાણીજ્યૂં મૉટરું નેં પંપ પ નૈં,વરી પાણી કોસો કરે લાય સિજતપસેં કમકાજ હલે ઇતરે બ્યૅં ગંજૅંમેં લાઇટ જામ વાવરાજે પ હિતે લાઇટબીલ પ ઓછો અચે.કરમકે જ ધરમ મંઞીંધલ હિંન ગોઠમેં હૉટલ નાંય ક જિતે ચાર છ જિણાં વિઠા જ વૅં,વરી ચાયજા ઠામડ઼ા ધૂવાજૅં,ભુકી હારાજે ત કુત્તા મિના પ આંટો ડીયેં પ કોય પ નિપટ નિવરો પ નાંય નેં હાથણી જૅડ઼ીયૂં ગૌમાતાઉં બ ટાણાં હાંઢા ભરે ખીર ડીયેં ઇતરે ચાય જુકો પીયેં સે પિંઢપિંઢજે ઘરૅં જ ભને.
ન બીડ઼ી બાંકસ,ન પનપટી,ન જડ઼ધો તમાકુ,ન ભૂંગરી ભજરજી હટડ઼ી ક કૅબીનજો ખુમચો પ ન,બ્યો ત ઠીક ડાડ઼ી વાર કતરાયલા મોથારો ક નુંધાતડ઼ વિંઞણૂં પૅ.રસકસજ્યું ટનછન ત્રૅ ધુકાનું.ચીજ વસત ગિની,આનાં ચુકાય ક લિખાય નેં ગિરાક પુજે ઘરેં. મિંધર ગામરાજજા પૂરા ચાર.લિછમી નારાંણ ભગવાંન,બારો બીજજા ધણી નીલા નેજાધારી બાબા રામડેવજી પીર,સીંધરીયા નરવીર કષ્ટભંજન હુડ઼માન ડાડા નેં ડેવૅંજા ડેવ કનકેસ્વર માડેવ.તૅં સવા ન ડીયરી ન પિડ઼.ભૉ ખીરજી ડેરી આય.ભાકીં બાલમિંધર, અઠ ચૉપડ઼ી તઇંજી નીસાડ઼,નૉંથી બારૉજી હાઈસ્કૂલ નેં બી.એ. નેં બી.કૉમ.લાય કૉલેજ ક જુકો હાજાપરજા હામી વીર નેં ધારાસભ્ય સ્વ.જેન્તીલાલ પરસોતમ ભાનુશાલી પિંઢજે સુરગવાસી કંધોતર સ્વ.અનિરુદ્ધજી સ્મૃતિમેં ભનાયનેં પિંઢ પ અજ઼ સ્મૃતિશેષ થઇ વ્યા.
ખેતી જભરી.હર ખેડૂ વટે બ નું કરે ત્રૅ આંકડ઼ૅંમેં ચાર ચાર,છ છ વાડીયૂં.બ બ ચાર ચાર બોર નેં ટિપક પદ્ધતિસેં જરુર પૂરતો પાણી વાવરાજે.નેં કપા,હિંઢીયા,ગિઉં,રાયડ઼ો,ભકાલો,વનફડ઼ ચૉંધે ડાડ઼મ,આમાં,બેર,સક્કર ટેટી,કારંગા ઍડ઼ા પાક ગિનાજેં.ખેડૂ પિંઢ તીં છોટા ઉદેપુર,પંચમહાલ જો મજુર મુલી નેં ઠેઠ હરીયાણા,પંજાબનું ખેતી કરેલા બાર બચ્ચૅં સૉંત ત્રી પાંત્રી વરે મૉંધ કૈક કુટમ કભીલા ખીરમેં ખન વારેજીં ભિરીનેં કમકાજમેં જુપ્યા પ્યા ઐં.ભાગીતી ખેતી નેં મુલ બીં કંધૅં વૅવાર સૅવાર,ટાણાં અવસર સાંવચેમેં સરમ નેં સબંધ બૉય ડિનલ જિભાંન નેં પારલ બોલતૅં કનકપર નાલે સૉંનનગરીજા નિંઢાવડા મિડ઼ે બ પનૅં નીરા,બ અગડ઼ીયું,બ પિતરીયા,છિલલ ખૂંચૅં નેં અંઙણ બધલ મલીર મતારા ડુજાણાં નેં ટ્રૅકટર,ગાડીઍં બરુકા ડિસી અખ ઠરેતી.
ગૌમાતાજી સેવાસેં ગોઠજી પુંઞાઇ સારા નેં સચ્ચા સંસ્કાર સાંચવેંનેં.ગોઠજા સરપંચ શ્રીમતિ ચંદ્રિકાભેંણ રંગાણી સુર નેં સબધજા મરમી ઐં.તમામ વસંધી ભા ભૅંણ,માઇતર વીયા થઇનેં રૅતી.હર છનીવાર હુડ઼માનડાડાજા લડું થીયેં.ખાસેં ટાંણેં- અવસરૅં ‘ગૌ ડાંન’ મેં હરકોય હામી રાજી થઇ ફોડ઼ો લિખાય.નીસાડ઼મેં ચાર માસ્તર તાં હિંન ગોઠજા જ ઐં ત હિકડ઼ા નાલે નેં સુભાવેં રતનસાહેબ સજી જમાર હિતે જ ગુજાર્યૉં ત કે.વી.સીજુ,હસુભાઈ રંગાણી તીં મિડ઼ે કાવપ્રેમી નેં નેવું કે ઓડા મોતીલાલ સેવકસાહેભ અઞાં કડ઼ેધડ઼ે ઐં નેં રાષ્ટ્રીય તૅવાર તીં વડા ડીં પ રંઙૅંચંઙૅં મનાવાજેં.
મૉંધલે જનમેંજી પુંઞાઇસૅં હી લિખંધલજી ધી પ્રૉ. ડૉ.કેકા ભટ્ટકે કનકપર કૉલેજમેં નૉકરી મિલઇનેં ગોઠજી કચ્છી કવિયત્રી વૈશાલી મારવાડા’ વૈશું’ જી કવિતા તીં ગોવિંદભા જા ભજનનેં ધાવડ઼ેજે વિદ્યાર્થી દીનેશ રવજી પટેલજી હીંયારીનેં સજે ગામજી હીંયારી નેં સેવા મૂર્તિ ભણલગુણલ વાડ઼ીલાલ પોકારજી વલપસૅં માડેવજી મૂરમેં ભૅંણી ભનલ હોઈ સે ઠારાય,ભનાય નેં ભિડ઼ીંગ કરે ડિનૉં જિતે સિભુ સાંજી ગૌમાતા પુંઞાઇ ભરલ ગૌરજ છંઢીંધી પાવન કરીંધી વિંઞે- ઉતે વિઇનેં હી લેખ લિખ્યો.અચૉ..અચૉ..અસાંજે ગોઠ ક જિતે માડુ નેં ગૌમાતા બૉય પૂજાજૅંતા.અચૉ..ડેસી ગુડ઼ ખારાઇબો.
અઢીઅખરું કચ્છ:રાષ્ટ્રની આર્થિક નીતિના પાયામાં માંડવી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/laying-the-foundation-for-the-nations-economic-policy-135209029.html

નવીન જોષી ક ચ્છ કમાલનો પ્રદેશ છે અને કચ્છમાં પણ માંડવી એટલે વાત ન પૂછો! આ શહેર અને તાલુકાની વિવિધતા અને વિશેષતાઓનો પાર નથી, રત્નાકરની સાક્ષીએ ઉછરેલા આ મુલકના માનવીઓ પણ જીંદગીની અનેક ભરતી-ઓટનો સામનો કરીને સામાપૂરે તરવાની એટલું જ નહીં તરીને પાર ઉતરવાની તાકાત ધરાવે છે. તમે માત્ર નામોની યાદી બનાવો એટલે માંડવીની મોટાઇનો અંદાજ આપોઆપ આવી જશે.
આ યાદીમાં સૌ પ્રથમ નામ સ્વાભાવિક રીતે જ ક્રાંતિકારીઓના જનક પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું આવે અને તાજેતરની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં સૌ પ્રથમ કચ્છી તરીકે બેઠેલા જસ્ટીસ નિલયભાઇ અંજારિયા...
માંડવીએ કચ્છને જ નહીં પણ દેશને એવાં રત્નો આપ્યાં છે કે, આજે સદીઓ બાદ પણ દેશ એમનું ઋણી છે, શાસકોએ ભૂલાવેલા અર્થશાસ્ત્રી પ્રો. કે. ટી. શાહ કે જેમણે રાષ્ટ્રની લોકશાહીમાં એમ કહીને મહામૂલું યોગદાન આપ્યું હતું કે, કોઇ પણ ચૂંટણી બિનહરીફ ન જ થવી જોઇએ, તેઓ ખુદ વિપક્ષી ઉમેદવાર તરીકે હાર નિશ્ચિંત હોવા છતાં રાષ્ટ્રની સર્વપ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં
ડો. રાજેન્દ્ર પ્રસાદના હરીફ તરીકે ચૂંટણી લડ્યા... વિપક્ષ હોવાથી કોંગ્રેસની સરકારોએ તેમને ભુલાવી દીધા.
જસ્ટીસ નિલયભાઇ અંજારિયાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદે બેસીને કચ્છને ગૌરવાંતિત કર્યું તો એક માંડવીવાસી એવા અંજારિયા પણ થઇ ગયા કે, જેમને ઠેઠ 1957માં ભારત સરકારે પદ્મશ્રી ખિતાબથી નવાજ્યા હતા. જોકે, કચ્છ એ પદ્મશ્રીને વિસરી ગયું છે. તો આવો આજે એ પ્રા. જશવંતરાય જયંતિલાલ અંજારિયાને થોડા ઊંડાણપૂર્વક યાદ કરીએ.
માંડવીની પાઠશાળામાં નાનાલાલ વોરા આચાર્ય પદે હતા. એ મેઘજી થોભણ સંસ્કૃત પાઠશાળામાં એક વર્ષ ભણેલા પ્રા. જે. જે. અંજારિયાનો જન્મ જુલાઇ 1908માં માંડવીમાં થયો. 14 વર્ષની વયે જી. ટી. હાઇસ્કૂલમાં તેઓ મેટ્રિકમાં આવ્યા પણ તે વખતે મેટ્રિક માટે 15 વર્ષની વય જરૂરી હોવાથી એક વર્ષ સંસ્કૃત પાઠશાળામાં ભણીને બાદમાં કરાંચી કેન્દ્ર પરથી મેટ્રિકની પરીક્ષા આપનાર અને મેટ્રિકમાં જ સરપ્રાગજી ફર્સ્ટ સ્કોલરશિપ અને દીવાન મણિભાઇ જશભાઇ પ્રાઇઝ પ્રાપ્ત કરનારા જશવંતરાય અનુક્રમે ભાવનગર, મુંબઇ અને પુનામાં ભણીને તેજસ્વિતાના આધારે સ્કોલરશિપ-એવોર્ડ જીતીને 1934માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમ.સી.સી. થઇને જોડાયા. અમદાવાદમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને 1943માં વિલસન કોલેજમાં અધ્યાપક થયા. વચ્ચે 1942માં બોમ્બે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના રીડર થયા.
આ તો એમની શિક્ષણ ક્ષેત્રની જ્વલંતયાત્રા, પણ ત્યારબાદ તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જોડાયા. ત્યાંથી વોશિંગ્ટન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ઓલ્ટરનેટ ડાયરેક્ટર અને અમેરિકાથી પરત ફરીને પાછા રિઝર્વ બેંકના આર્થિક વિભાગમાં સેવારત રહ્યા. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આયોજન પંચની રચના કરી તો ડો. સી. ડી. દેશમુખ કે જે પંચના અધ્યક્ષ હતા તેમણે પ્રા. અંજારિયાને આયોજન પંચના સભ્ય બનાવ્યા.
માંડવીના દરિયાકિનારે શૈશવકાળ વિતાવીને દેશનાં વિવિધ ક્ષેત્રોમાં સેવારત આ વડનગરા નાગરે દેશના વિકાસાર્થે સર્વ પ્રથમ 1951-56, 56થી 61 અને 61થી 66ની પંચવર્ષીય યોજનાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી... કેવી ભૂમિકા જાણો છો? દેશના વડાપ્રધાન અને નાણામંત્રી જ તેમનાથી ઉપર હતા.
એટલું જ નહીં 1962માં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આઇએમએફ)ના ગવર્નિંગ બોર્ડ પર ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદે પણ નિમાયા, આયોજન પંચ અને આઇએમએફની તેમની કામગીરીને કેન્દ્રમાં રાખીને કેન્દ્ર સરકારે તેમની રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર તરીકે નિમણૂક કરી અને એ મુદ્દત સંપન્ન થતા ભારત સરકારે આ પ્રતિભા માટે ફોરવર્ડ ટ્રેડિંગ સિક્યોરિટીઝ આર્થિક પ્રશ્નો અંગેની એક સમિતિની રચના કરી અને આર્થિક મુદ્દે ઉઠતા પ્રશ્નોના નિરાકરણાર્થે અંજારિયાને અધ્યક્ષ બનાવ્યા.
સતત જાગૃત માંડવી ગામ-તાલુકા-શહેરમાં આજે ક્યાંયે પ્રથમ કચ્છી પદ્મશ્રી એવા પ્રો. જે. જે. અંજારિયાની સ્મૃતિમાં કંઇ છે? ના કોઇ અર્ધ પ્રતિમા પણ નથી... આવી પ્રતિભાઓ અનેક ભટકેલાઓને માર્ગદર્શન આપી શકે, પ્રેરણા પૂરી પાડી
શકે જો ક્યાંક પણ તેમની સ્મૃત્તિ હોય તો તેમની સેવાઓની કદર ગણાય. આજે આપણે રિઝર્વ બેંકના ગર્વનર રહીને પછી વડાપ્રધાનપદે પહોંચેલા અર્થશાસ્ત્રી મનમોહનસિંહને દેશના આર્થિક વિકાસનો યશ આપીએ છીએ, પણ યાદ રહે કે ભાગલા બાદ, ત્રણસો વર્ષના અંગ્રેજોના જુલ્મી શાસન બાદ સમગ્ર દેશ ડામાડોળ હતો ત્યારે આર્થિક ક્ષેત્રે સ્થિરતા માટે પ્રો. જે. જે. અંજારિયા જેવા માંડવીવાસી કચ્છીઓનું યોગદાન કંઇ મામુલી ન્હોતું.
1970માં 63 વર્ષની વયે અવસાન પામેલા પ્રો. જે. જે. અંજારિયાએ અર્થશાસ્ત્ર પર સ્વતંત્ર અને સહલેખક તરીકે લખેલાં પુસ્તકોને આજે પણ ઇકોનોમિક્સ ક્ષેત્રે ભારે સન્માનથી જોવાય છે. માંડવીના જ એક સપૂત નારાયણ શનિશ્ચરાના પુસ્તક ‘ઉછાળી દે આભને’માં આવી એક નહીં અનેક પ્રતિભાઓની ઓળખ અપાઇ છે.
મેંદી રંગ લાગ્યો:રણઝણ રણઝણ ઝાલર વાગે...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-bells-are-ringing-ringing-135208992.html

રણઝણ રણઝણ ઝાલર વાગે,
મધુરસ મોરલી રે હો વાગે.
વાલો મારો આવશે ને ઉતારા મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને પોઢણ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને દાતણ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને નાવણ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને ભોજન મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને મુખવાસ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
ગુજરાતી લોકગીતોની પ્રસ્તુતિની અસલ પરંપરા એવી છે કે કોઈ એક વ્યક્તિ ગાય અને બાકીનાં બધાં ઝીલે એટલે કે કોરસ કરે. લોકગીતો આમ જ ગવાયાં, કંઠસ્થ પરંપરાથી વહેતાં રહ્યાં. ગામડાંમાં વારે-તહેવારે અથવા કોઈ જ કારણ ન હોય તો પણ ખુશીથી મહિલાઓ ભેગાં થઈને રાસડા લેતાં લેતાં લોકગીતો ગાતાં એમાં એક બેન ગવડાવે ને બાકીનાં ઝીલે. રામમંદિરે કે એવી કોઈ જગ્યાએ પુરુષો પણ ટપ્પો લેતાં લેતાં કે બેસીને તબલાં, ઝાંઝપખાઝ સાથે રામ, કૃષ્ણનાં કે એવાં ભક્તિભાવસભર લોકગીતો ગાતાં, એમાં પણ ક્રમ તો એક ગાય ને બીજા ઝીલે એવો જ હતો.
સમય જતાં લોકગીતો વધુ ને વધુ લોકપ્રિય થવા લાગ્યાં, એના જાહેર કાર્યક્રમો થવા લાગ્યા, સારા કંઠવાળાં ગાયક-ગાયિકાને લોકોએ સ્વીકાર્યાં, સન્માન્યાં ને સારાં આપવાનું શરૂ કર્યું એટલે કે એના વ્યાવસાયીકરણનો આરંભ થયો. સ્વાભાવિક છે કે એક કાર્યક્રમ હોય તો એક ગાયક, એક ગાયિકા, એક કાર્યક્રમ સંચાલક એટલે કે લોકસાહિત્યકાર કમ હાસ્ય કલાકાર અને ચારેક સાજિંદા મળીને સાતેક કલાકારોની મંડળી થાય.
આટલાં લોકોનો પરિવહન સાથેનો પુરસ્કાર લોકો, સંસ્થાઓ ચૂકવી દેતાં ને એમ લોકડાયરાની લોકપ્રિયતા સાથે વ્યાપ વધ્યા. કલાકારોના આ માળખામાં ત્રણ-ચાર કોરસના કલાકારો સમાવવા એ થોડું અઘરું કામ છે કેમકે સંખ્યા વધે એટલે આયોજકોને ખર્ચ વધે ને વળી કોરસની એટલી ઉપયોગ નહીં જણાયો હોય એટલે કોરસની બાદબાકી કરી, ગાયક અને ગાયિકા લોકગીત ગાય એવો સિલસિલો શરૂ થયો જે હજુ મહદઅંશે યથાવત છે.
‘રણઝણ રણઝણ ઝાલર વાગે...’ અનેક લોકગીતો જેવું એક ગાયક ગાય ને બીજા ઝીલે તો જામે એવું લોકગીત છે. કોઈક આરાધ્ય વ્યક્તિ આવવાની છે. એના આગમન પૂર્વે ઝાલર રણઝણી ઊઠી છે, મોરલીનો મધુરસ પણ વહેવા લાગ્યો છે, બસ, મારો વાલો હમણાં આવશે! મોરલાના સૂર છેડનાર આવવાનો હોય તો સ્પષ્ટ છે કૃષ્ણની જ અહીં વાત હોય. કનૈયો આવશે એટલે ઉતારા, પોઢણ, નાવણ, દાતણ, ભોજન, મુખવાસ મગાવશે. ભગવાન શ્રીકૃષ્ણના યજમાન આ બધું જ માત્ર અડધી ઘડીમાં આપી દેશે! ગાયોના ચારનાર ગોવિંદ જો આપણા મહેમાન બનતા હોય તો એમને માટેની સુવિધા અધઘડીમાં થઇ જ જાય એવો યજમાનનો ભાવ છે. અહીં કોણ છે મહેમાન મુરારિના યજમાન? આ ગીત ગાનારાં સૌ કોઈ! જે લોકો ગાય એનો સૌનો ભાવ એવો હોય કે કાન બને અમારો મહેમાન!
આપણે ત્યાં આવાં લોકગીત પણ છે-
હમણાં વાલો આવશે ને ઉતારા મગાવશે,
વનમાં ઉતારા ક્યાંથી? રે વાલો ગોકુળ ગ્યા’તા.
અર્થાત્ કનૈયો તો આવીને ઉતારા સહિત બધું માગશે પણ વનમાં અમારે સગવડ કેમ કરવી?
ઓક્સિજન:પર્પઝ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/purpose-135208996.html

‘કો ઈ મિરેકલ જ તેને બચાવી શકે છે.’
ડોક્ટરના આ શબ્દો સાંભળી સીમી ભાંગી પડી. તેના પતિ જૈનિલની ઉંમર માત્ર 48 વર્ષ! જૈનિલને ભારે અકસ્માત થયો હોવાથી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરેલો. ડોક્ટરે પૂછ્યું, ‘અકસ્માત થયો કેવી રીતે?’
સીમી વિચારોમાં ખોવાઈ ગઈ. જૈનિલ નાની ઉમરમાં માર્કેટિંગ હેડની પોસ્ટ ઉપર પહોંચ્યો હતો. સમય અને પરિવારને પાછળ રાખી નોકરીમાં ખૂંપી રહેવા માટે વળતર તો સરસ મળતું પણ સાથે સ્ટ્રેસ પણ એટલો જ રહેતો. એક દિવસ તેણે નક્કી કર્યું કે માત્ર 45 વર્ષની ઉમરે રિટાયરમેન્ટ લઈ લેવું છે. તે પરિવાર સાથે મુંબઈથી દૂર, ગ્રામ્ય વિસ્તારમાં રહેવા જતો રહ્યો અને તે આરામનું જીવન વિતાવવા લાગ્યો.
થોડાં વર્ષોમાં તેને ‘વહેલા રિટાયરમેન્ટ’ના દિવસો કઠિન લાગવા માંડ્યા. તેની પાસે સમય ઘણો હતો પણ, તે પસાર કરવા કોઈ કામ નહોતું, જાતને સાબિત કરવા તેણે એક માઉન્ટેનિયરિંગ હરીફાઈમાં ભાગ લેવાનું નક્કી કર્યું. પર્વતની ચઢાઈ, ઊંચા પગથિયાં, પાતળી હવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. તેણે મન મક્કમ કરી તૈયારીઓ શરૂ કરી. 6 મહિનાની તૈયારીઓ પછી તે હરીફાઈમાં જોડાયો, જીતવા માટે પૂરું જોર લગાવ્યું, પણ અતિશય થાક, ડિહાઈડ્રેશનને કારણે તે લડથડાયો અને ગબડ્યો. આમ તે ગંભીર ઇજા પામ્યો.
સીમીની વાત સાંભળી ડોક્ટર સમજી ગયા કે જૈનિલ પાસે સમય પસાર કરવાનું કોઈ કારણ ન હતું એટલે પોતાની ઉપયોગિતા સાબિત કરવાની લ્હાયમાં કેપેસિટી કરતાં વધુ શ્રમ કર્યો અને તેના તન-મન ભાંગી પડ્યાં. કારણ વગરનું જીવન માણસને બિનઉપયોગી બનાવી દે છે.
પેશન્ટને ભાન આવ્યું છે તેવી બૂમ પડતાં તેઓ ત્યાં દોડ્યા. કંઈક બોલવા મથી રહેલા જૈનિલના એટલા જ શબ્દો સંભળાયા ‘પર્પઝ.’
નીલે ગગન કે તલે:કભી આણ, કભી પાણ…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-much-water-how-much-water-135208854.html

સ્વ ર્ગસ્થ કપાસીસાહેબ એક અફલાતૂન હાઇસ્કૂલ ચલાવતા જે હજી ચાલે છે. તેમાં ગુજરાતી મીડિયમ હતું કિંતુ વર્ષો જતાં તેમાં ગુજરાતી લગભગ લુપ્ત થયું ને ઇંગ્લિશ મીડિયમ ચાલુ થયું. કારણ પૂછ્યું તો કપાસીએ એમની ઝુમ્મન શૈલીમાં ગુણગુણા સ્વરે જણાવ્યું કે ‘બાંકી આંપણાં માંસ્તરો ને કસરતમાસ્તર ને પટાવારા–બટાવારાનાં બધાંનાં બચ્ચાં બી હવે ઇંગ્લિસ મીડિયમમાં ભણવા જાય છે, તો અહીંયાં ગુજરાતી ભણવા કોણ આવે?’
ઇન્ડિયામાં અંગ્રેજોનું રાજ હતું ને ત્યારે એમણે આપણને ચૂસીચૂસીને ઇંગલેન્ડમાં હવામહેલ બનાવેલા. અનાજની સખત અછત રહેતી ને ઇન્ડિયામાં વારંવાર દુકાળ પડતા ને માણસો ભૂખે મરતા! અનાજનું રેશન હતું ને મુઠ્ઠીભર ઘઉં ને ચાવલ રેશનિંગની દુકાને લેવા જવાનું થતું. કહેવાતું કે ઇન્ડિયાનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે ને દેવામાં મરે છે! ને તે વખતના અંગ્રેજ પ્રધાનમંત્રી ચર્ચિલ ફિટકારથી કહેતા કે આટલા બધા ભૂખે મરે છે તો પેલો ફકીર ગાંધી કેમ હજી મરતો નથી!
તે સમયના અંગ્રેજો આપણને તુચ્છ, અભણ, અસંસ્કારી ને ગમાર ગણતા ને આપણે યસ યસ કરીને એમની ગુલામીમાં આળોટતા. એમણે બળજબરીથી અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું જેથી આપણે હંમેશાં માટે નમાયા ને એમના ઓશિયાળા બની રહીએ. સોરી, અંગ્રજોની વાત આવે છે ને ગગનઅંકલ ધૂણવા માંડે છે. કેમકે તે નમાયાપણું ને અંગ્રેજી પ્રત્યે પૂજ્યભાવ હવે તો સૌની રગેરગમાં ફેલાઈ ગયો છે.
અગાઉ આ પાનાંમાં અમે લખેલું કે હવેનાં ટાબર તો ગુજરાતી આંકડા (મીન્સ કે ન્યુમરલ્સ) પણ જાણતા નથી: કોઈને આપણે મોબાઇલ નંબર આપીએ કે ‘પાંચસો એકાવન…’ તો એલ્લોએલ અને ઇન્સ્ટાગ્રામનાં ધાવણ ધાવીને ઊછરેલાં ટાબર કહે છે કે વોટ ઇઝ એકાવન? અંકલ, ઇંગ્લિસમાં બોલો ને!
તો એમને એ તો ક્યાંથી ખબર હોય કે એક જમાનામાં એક રૂપિયાના સોળ આના હતા ને એક આનાના ચાર પૈસા હતા ને અને એક પૈસાની ત્રણ પાઈ હતી. જ્યારે હતા ત્યારે હતા, આજે ઈ પાઈ પૈસાનું શું છે? કહીને મોબાઇલમાં રીલ જોતાં ટાબરને જણાવવાનું કેમ જૂના પૈસાની વાત કરીને ગગનકાકા આવે છે જૂની સિક્રેટ એકાઉન્ટિંગ સ્ટાઇલ ઉપર, આણપાણ!
તે જમાનામાં હિસાબ-કિતાબમાં વપરાતી આણપાણ નામની અટપટી પદ્ધતિ, જે ફક્ત મુનીમજીઓ ને વેપારીઓ જ સમજી શકે, ગરીબ માણાહને વાંચતાંય માંડ આવડે ઈ આણપાણ ક્યાંથી સમજે! આણપાણમાં આખા રૂપિયા જેમકે હંડ્ડ્રેડ રૂપીઝ ઓન્લી દર્શાવવા ઓળાયો વપરાતો, જે 100 પછી જરા કોઈ જાડા સેઠની ફાંદના આકારનો જમણા કાંઉસ જેવો દેખાતો, સમથિંગ લાઇક ધિસ: 100). આજે પણ કોઈકોઈ સ્થળે 1/4, 1/2 અને 3/4 (સવા ને અડધું તથા પોણું) દર્શાવવા એક, બે કે ત્રણ ઊભી દાંડી કે ‘આણ’ વપરાય છે.
ઓળાયા ઉપરાંત આણપાણમાં આડી લીટી કે ‘પાણ’ અડધાનું અડધું દર્શાવવા વપરાતાં ને તે પછી પણ પૈસા, પાઈ... વગેરે માટે વિશેષ ચિહ્નો હતાં. ત્યારબાદ 1971માં નવા પૈસા આવ્યા પછી દશાંશ ચિહ્ન (ડેસિમલ પોઇન્ટ) આણપાણ કરતાં વધુ સગવડિયું થયું છે.
ગુજરાતી જ નહીં, સાચેસાચ તો ભારતની બધી ભાષાઓમાં અંગરેજી પગ પહોળા કરીને ફેલાયું છે. ગુજરાતીમાં હવે કોઈ બા–બાપુજી કે મામો-કાકો બોલતું નથી. અંગરેજીમાં ‘બેબી’ યાને બાળકને આપણે ગુજરાતીફાય કરી દીધાં છે. આપણે ઇંગ્લિશના ‘બેબી’ મીન્સ કે બાળકને ગુજરાતી જાતિ આપીને કરી દીધું છે. બેબી એટલે ડોટર ને તેનું ગુજરાતીફાઈડ પુલ્લિંગ ‘બાબો!’ સાળા- સાળેવી, સાળી–સાઢુ, બર્ધર/સિસ્ટર ને કાકા-મામા-માસા માટે સિમ્પલ અંકલ! કોઈ વળી માય મેટરનલ અંકલ કે પેટરનલ અંકલ કરે પણ માસા માટે કોઈ અંગરેજી શબ્દ નથી! પ્લસ, સાળા–સાળેવી વગેરે માટે શબ્દો છે પણ સાઢુભાઈ માટે? અને ગગનઅંકલની મૌલિક શોધ છે કે ‘સાઢુ’ભાઈ તે મૂળે ‘સાધુ’ભાઈ હશે ને સાધુભાઈને સાધુ કહો તે ન ગમે એટલે સાઢુભાઈ થયું હશે!
સાંભળ્યું છે કે દક્ષિણ ભારતમાં દરેક રિલેશનશિપ માટે વિશેષ શબ્દો પ્રયોજાય છે. દક્ષિણવાળા ‘હા’ કહેવું હોય કે ‘ના’ કહેવું હોય કે ‘હા હા સમજ્યો’ કહેવું હોય તે દરેકમાં લોકો લેફ્ટરાઇટ માથું ધુણાવે ને આપણે સમજી જાવાનું કે આ આણ છે કે પાણ છે! ઓળાયો છે કે ઊભી દાંડી છે!
ને જતાં જતાં વધુ એક કલ્પાંત: ઘણા રેલવેના ટુ ટીયર (2 tier) કે થ્રી ટીયર (3 tier)ના ટીયર યાને પાટલી કે પાટિયાંને tire ટાયર યાને ચકરડાં કહે છે જે એલ્લોએલ છે. ઘણાં એમેટર (amateur) યાને શૌકિયા સિંગર કે એક્ટરને એમેચ્યોર (amature) યાને અણઘડ સિંગર કે એક્ટર કહે છે જે એલએમએઓ છે. અને સાહેબ, તમારા સાધુભાઈની બેબીના વેડિંગમાં જવાનું હોય તેને મેરેજ ન કહેવાય, વેડિંગ કહેવાય. વેડિંગ એટલે ચાર ફેરા ફરવા તે વિધિ ને મેરેજ એટલે આખી જિંદગીનું––યુનો––ડોટડોટડોટ. જય શેરશાહ સુરી!
આઠમી અજાયબી:‘મા, મને તારું ઋણ ચૂકવવાનો મોકો જ ના મળ્યો...’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/mom-i-didnt-get-a-chance-to-pay-your-debt-135208974.html

માયા ભદૌરિયા સ્થળ : ગોરખપુર જેલ
દિવસ : 19 ડિસેમ્બર, 1927, સોમવાર
સમય : સવારે 6.00 વાગ્યાનો
‘I WISH THE DOWNFALL OF BRITISH EMPIRE’- ‘હું બ્રિટિશ સામ્રાજ્યનું પતન ઈચ્છું છું.’
ફાંસીના ફંદે લટકતાં પહેલાં આ છેલ્લા શબ્દો બોલ્યા હતા ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ. તેમની સાથે ક્રાંતિકારી અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્રનાથ લાહિડી અને ઠાકુર રોશન સિંહને પણ ફાંસી અપાઈ હતી. ક્રાંતિની મશાલ લઈને ફરતા આ ક્રાંતિકારી શ્રેષ્ઠ કવિ અને શાયર પણ હતા. તેમણે ઉર્દૂ તેમજ હિંદીમાં અજ્ઞાત, રામ તેમજ બિસ્મિલ તખલ્લુસથી ઘણી કવિતાઓ લખી. જોકે, સૌથી વધુ પ્રસિદ્ધ થયા બિસ્મિલ નામથી.
ત્રીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં જીવનના છેલ્લા ચાર મહિના અને દસ દિવસ ગોરખપુર જેલમાં વીતાવ્યા. અહીં તેઓ જેલની કોટડી નંબર-7માં રહેતા હતા. એ સમયે આ કોટડી ‘તન્હાઈ બેરક’ નામે જાણીતી હતી. હાલમાં આ કોટડીને બિસ્મિલનો રૂમ અને શહીદ પંડિત રામપ્રસાદ બિસ્મિલ બેરક નામથી જાળવી રાખવામાં આવી છે.
જેલમાં રહીને પણ તેમણે ઘણી રચનાઓ લખી. જોકે, અંગ્રેજોએ બાળી દીધી. પોતાની આત્મકથા ‘નિજ જીવન કી એક છટા’ પણ તેમણે જેલમાં રહીને છાનામાના લખી. ફાંસીના ત્રણ દિવસ પહેલાં જ તેમણે પોતાની આત્મકથાનો છેલ્લો અધ્યાય પૂરો કર્યો હતો.
અંગ્રેજોની કરતૂત તેમને ખબર હતી અને એટલે જ ફાંસીએ લટકતાં પહેલાં બિસ્મિલે પોતાની આત્મકથા તેમને મળવા આવેલા એક પરિચિત પાસે બહાર પહોંચાડી દીધી હતી. 1928માં ગણેશ શંકર વિદ્યાર્થીએ ‘કાકોરી કે શહીદ’ નામે તેમની આત્મકથા છપાવડાવી. બિસ્મિલની આત્મકથાએ અંગ્રેજોના હોશ ઉડાવી દીધા. આ પુસ્તક વાંચ્યા પછી લોકોનો ક્રોધ વધુ ભભૂક્યો. આ આત્મકથાના માધ્યમથી આજે પણ રામપ્રસાદ બિસ્મિલ આપણા હૃદયમાં જીવે છે. આજે પણ આ આત્મકથા લોકોને પ્રેરિત કરે છે. આત્મકથાનો એક અંશ... મારી મા...
સાચું કહું તો મારી મા દેવી છે. મારામાં જે નીડરતા છે તે ગુણ મારી મા પાસેથી જ મને મળ્યો છે. માતા પાસેથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું અને સદવ્યવહાર પણ તેમની પાસેથી શીખ્યો. તેમણે શીખવેલા બોધપાઠને કારણે મારા જીવનમાં આવેલી તકલીફોના સમયે પણ હું મજબૂત બનીને ઊભો રહ્યો અને ક્યારેય હિંમત ન હારી.
અગિયાર વર્ષની ઉંમરે મા લગ્ન કરીને શાહજહાંપુર આવ્યાં. એ વખતે તે ગામડાંની સાવ અભણ છોકરી જેવી હતી. શાહજહાંપુર આવ્યાંના થોડા દિવસ પછી દાદીમાએ તેમનાં બહેનને બોલાવી લીધાં. તેમણે મારી માને ઘરકામ શીખવ્યું. થોડા દિવસમાં મા બધું જ શીખી ગઈ અને રસોઈ પણ બનાવવા લાગી. મારા જન્મના પાંચ-સાત વર્ષ પછી તેણે હિંદી શીખવાનું શરૂ કર્યું. ઘરનું બધું કામ પૂરું કર્યાં પછી સમય મળે ત્યારે મા ભણવા બેસતી.
મને જો આવી મા ન મળી હોત તો હું પણ અતિ સામાન્ય મનુષ્યોની માફક સંસારચક્રમાં ફસાઈને જીવન વીતાવી રહ્યો હોત. શિક્ષણ ઉપરાંત માતાએ મારા ક્રાંતિકારી જીવનમાં મને બધી જ રીતે મદદ કરી. મારા માટે માતાનો સૌથી મોટો આદેશ એ હતો કે કોઈનો જીવ ન લેવો. તેમનું કહેવું હતું કે શત્રુને ક્યારેય મૃત્યુદંડ ન આપવો. જોકે, તેમનો આદેશ પૂરો કરવા બે વાર મારે મારી પ્રતિજ્ઞા તોડવી પડેલી.
હે જન્મદાત્રી જનની! આ જીવનમાં મને તારું ઋણ ચૂકવવાનો મોકો જ ન મળ્યો. આ જન્મ તો શું અનેક જન્મોમાં પણ આખું જીવન પ્રયત્ન કરું તોય મા તારું ઋણ ચૂકવી નહીં શકું. મા, તારા કારણે જ હું દેશસેવામાં જોડાઈ શક્યો. જે રીતે તું મને બોધપાઠ આપતી તે યાદ કરીને તારી મનમોહક છબી મારી આંખો સામે આવી જાય છે અને મારું મસ્તક તારી સામે ઝૂકી જાય છે. મા તું મને વઢતી તોય પ્રેમથી. હું ઉદ્ધતાઈથી જવાબ આપતો ત્યારે તું પ્રેમથી કહેતી કે તને જે ગમે તે કર, પણ એનું પરિણામ સારું નહીં આવે.
આ દુનિયામાં મને કોઈ સુખ કે સંપત્તિની લાલસા નથી. ફક્ત એક ઈચ્છા છે, શ્રદ્ધાપૂર્વક તારાં ચરણોની સેવા કરીને મારા જીવનને સફળ બનાવી શક્યો હોત, પણ આ ઈચ્છા અધૂરી રહી જશે અને મા, તને મારા મૃત્યુના દુ:ખદ સમાચાર સાંભળવા મળશે. મા, મને વિશ્વાસ છે કે તું આ સમયે પણ ધીરજ રાખીશ કે તારા દીકરાએ ભારતમાતાની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું અને એણે તારી કૂખને ઉજાળી અને પોતાની પ્રતિજ્ઞા ઉપર મક્કમ રહ્યો.
મા, મને આશીર્વાદ આપ કે છેલ્લી ઘડીએ મારું હૃદય કોઈ પ્રકારે વિચલિત ન થાય અને તારાં ચરણસ્પર્શ કરીને પરમાત્માનું સ્મરણ કરતો કરતો આ શરીરનો ત્યાગ કરું. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ...
મૂળ નામ ઠાકુર રામપ્રસાદ તોમર
બાળપણમાં મૌલવી પાસે ઉર્દૂ શીખ્યા
18 વર્ષે ‘મેરા જન્મ’ શીર્ષકથી દેશભક્તિની કવિતા લખી
હિંદી અને ઉર્દૂમાં કવિતાઓ લખી
એક કરતાં વધુ ભાષામાં પુસ્તકોનું ભાષાંતર કર્યું
જેલમાં રહીને આત્મકથા લખી બિસ્મિલના બલિદાનનો ઉલ્લેખ ભગતસિંહે ક્યાં કર્યો હતો?
બિસ્મિલના બલિદાનથી આઘાત પામેલા ક્રાંતિકારી ભગતસિંહે જાન્યુઆરી 1928ના કિરતી (પંજાબી માસિક)માં ‘વિદ્રોહી’ નામથી લખેલા પોતાના લેખમાં ઉલ્લેખ કર્યો હતો, ‘ફાંસી પર લઈ જતી વખતે તમે બહુ જોરથી વંદે માતરમ અને ભારતમાતાની જયના સૂત્રોચ્ચાર કર્યા. તમે શાંતિપૂર્વક ચાલતાં ચાલતાં એક શેર બોલ્યા- ‘માલિક તેરી રજા રહે ઔર તૂ હી તૂ રહે, બાકી ન મૈં રહૂં ન મેરી આરજુ રહે... જબ તક કિ તન મેં જાન રગોં મેં લહૂ રહે, તેરા હી જિક્ર ઔર તેરી જુસ્તજુ રહે...’ ફાંસીને માંચડે લટક્યા ત્યારે તમે કહ્યું, ‘I wish the downfall of british empire અને પછી એક શેર બોલ્યા, ‘અબ ન અહલે વલવલે હૈં, ઔર ન અરમાનોં કી ભીડ, એક મિટ જાને કી હસરત, અબ દિલે-બિસ્મિલ મેં હૈ...’ પછી તમે ઈશ્વરને પ્રાર્થના કરી અને મંત્ર બોલવાનો શરૂ કર્યો. દોરડું ખેંચાયું અને રામપ્રસાદજી ફાંસીના માંચડે લટકી ગયા.
ક્રાઇમ સિક્રેટ:એસીબીનું નામ સાંભળતા સહીરામ થથરી ગયા!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/sahiram-was-shocked-to-hear-the-name-acb-135208828.html

રાજ ભાસ્કર રા જસ્થાનના કોટાના એન્ટી કરપ્શન બ્યુરોના એસ.પી. સુધીર ચૌધરીને બાતમી મળે છે કે નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના ડે. કમિશનર સહીરામ મીણા કમલેશ ધાકડ નામના એક દલાલ સાથે મળીને અફીણની ખેતીમાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદરે છે.
એસીબી અધિકારીઓ કમલેશનો ફોન સર્વેલન્સ પર રાખી દે છે. અને એક દિવસ કમલેશ અને ડે. કમિશનરની વાતો સાંભળે છે. વાતો મુજબ 26મી જાન્યુઆરી 2019ના દિવસે 11 વાગે કમલેશ લાંચના પાંચ લાખ રૂપિયા લઈને સહીરામ મીણાના કોટા સ્થિત સરકારી નિવાસ પર આવવાનો હતો. એન્ટી કરપ્શન બ્યુરોના એસ.પી. તરત જ સહીરામને રંગેહાથે પકડવા માટે એક ટીમ નિયુક્ત કરે છે.
***
26 જાન્યુઆરી, 2019નો દિવસ. સવારના નવ વાગી રહ્યા હતા. રાજસ્થાનના કોટામાં મહાવીર કોલોનીમાં નારકોટિક્સ ડિપાર્ટમેન્ટનું મુખ્ય કાર્યાલય આવેલું છે. એના પ્રાંગણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ચાલી હતી. ધ્વજવંદન બાદ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર સહીરામ મીણા પ્રવચન માટે ઊભા થયા અને કહ્યું, ‘હું આપ સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે એક સલાહ પણ આપું છું કે આપણો દેશ ભ્રષ્ટાચારમાં ડૂબી રહ્યો છે, એને એમાંથી બહાર કાઢો. જીવનમાં કદી લાંચ ન આપવાનો અને લાંચ ન લેવાનો સંકલ્પ કરો..!’ સાહેબનું ભાષણ સાંભળીને તાળીઓનો ગડગડાટ થઈ ગયો. કાર્યક્રમ પતાવીને તેઓ મહાવીર કોલોનીમાં જ આવેલા તેમના સરકારી નિવાસ પર આવ્યા. અગિયાર વાગીને પાંચ મિનિટે કમલેશ આવ્યો.
લાલચુ સહીરામે કહ્યું, ‘પૈસા આવ્યા કે નહીં?’
‘આવ્યા છે સર, આ લો!’ બોલતાં બોલતાં કમલેશે નોટોનું બંડલ સહીરામ સામે ધર્યું, પણ પૈસા ગણી લીધા પછી એમનો ચહેરો ઉતરી ગયો. એ કમલેશ પર તાડૂક્યા, ‘અલ્યા, આ તો એક લાખ રૂપિયા જ છે. બાકીના ચાર લાખ ક્યાં?’
‘ચિંતા ના કરો સર! કાલે થઈ જશે.’
‘તું યાર આવું ને આવું જ કરે છે. કાલનો પરમ દિવસ ના થવો જોઈએ.’ આટલું બોલતાં બોલતાં સહીરામે નોટોનું બંડલ ખિસ્સામાં સેરવ્યું. ત્યાં જ અચાનક દરવાજો ખોલી ચાર જણા અંદર પ્રવેશ્યા. એમને જોતાં જ સહીરામ હડબડાઈને બોલ્યા, ‘કોણ છો તમે? આમ અંદર કેમ ઘુસી આવ્યા છો?’
ચારમાંથી એક અધિકારી આગળ આવ્યો અને તેમના બંને હાથ પકડી પાછળથી બાંધી દીધા. બીજા અધિકારી બોલ્યા, ‘વી આર ફ્રોમ એન્ટી કરપ્શન બ્યુરો! યુ આર અંડર એરેસ્ટ!’
એસીબીનું નામ સાંભળતા જ કમલેશ અને સહીરામ બંને થથરી ગયા. અધિકારીઓએ સહીરામના ખિસ્સાં ફંફોસ્યાં. એમાંથી એક લાખ રૂપિયાની થોકડી મળી. એક અધિકારી બોલ્યા, ‘સહીરામ, તમે લાંચ લેતા રંગેહાથે પકડાઈ ગયા!’
સહીરામ તાડૂકીને બોલ્યા, ‘આ લાંચ નથી. કમલેશને મેં ઉધાર રૂપિયા આપ્યા હતા એ એ પાછા આપવા આવ્યો છે.’
એસીબીની ટીમ આગળ તેમનું કશું જ ના ચાલ્યું. તેમના ઘરની તપાસ કરી તો ચાર લાખ પંચાણું હજાર રૂપિયા અને દાગીના મળ્યા. એસ.પી.એ સહીરામ અને દલાલ કમલેશની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા.
કોર્ટના આદેશ મુજબ સહીરામ જેલમાં ગયા અને બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની બધી જ મિલકતો પર દરોડા પાડવાની કાર્યવાહી આરંભી દીધી. તેના પર્સનલ રહેઠાણ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેમનું ઘર જયપુરના જગતપુરા વિસ્તારમાં આવેલા શંકર વિહારમાં હતું. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું, જેમાં ઘરની અંદરથી ત્રણ સૂટકેશો ભરીને રોકડા 2 કરોડ 26 લાખ રૂપિયા અને 6 લાખ જેટલાં સોના-ચાંદીના દાગીના મળ્યા. એસીબીની ટીમ ચોંકી તો ત્યારે ગઈ જ્યારે ઘરમાંથી 300 કરોડની સંપત્તિના દસ્તાવેજો મળ્યા.
અફીણની ખેતીમાંથી લાંચ લેવાના આ કાળા કારોબારની કહાની આટલેથી અટકતી નહોતી. એની હજુ પણ ઘણી પ્રોપર્ટી હતી. જયપુરમાં સીતાપુરા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી કોર્પોરેશન બેંકમાં સહીરામનાં લોકર હતાં. બીજા દિવસે તેમની પત્ની પ્રેમલતાની હાજરીમાં એ લોકરો ખોલવામાં આવ્યાં, જેમાંથી 29.46 લાખ રૂપિયાનું સોનું અને બીજી 200 કરોડની સંપત્તિના દસ્તાવેજો એસીબી ઓફિસરોને પ્રાપ્ત થયા. આ માણસે બે નંબરનો આટલો બધો રૂપિયો જમા કર્યો હતો એ જોઈ અધિકારીઓ ખુદ હચમચી ગયા હતા. એસીબીના ઈતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી હતી.
ફરીવાર સહીરામના રીમાન્ડ લેવામાં આવ્યા. સહીરામે બહાનાં બતાવા માંડ્યાં, આ સંપત્તિ પૈતૃક છે, પછી કહ્યું મારી પત્નીની છે, એ તો ઠીક પૈસાના આ લાલચુ માણસે પોતાના દીકરાને પણ ના છોડ્યો. એમણે કહ્યું, ‘મારો દીકરો એના વ્યવસાયમાં કંઈક કાળાં-ધોળાં કરીને પૈસા ભેગા કરતો હશે.’ પોલીસે આ બધી બાબતોના પુરાવા માંગ્યા, પણ સહીરામ ખોટા હતા એટલે કંઈ આપી ના શક્યા. એ માત્ર નીચું જોઈ રહ્યા.
એસ.પી. સુધીર ચૌધરી એ વખતે ત્યાં હાજર હતા. તેમણે કહ્યું, ‘સહીરામ, તમે તો હદ વટાવી દીધી છે. જે થાળીમાં ખાધું એમાં જ થૂંક્યા. તમે ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ એવાં ભાષણો આપો છો અને બીજી તરફ તમે પોતે જ આટલો મોટો ભ્રષ્ટાચાર આચરો છો. એ તો ઠીક તમે તો અફીણની ખેતીમાં આ લાગવગો ચલાવી દેશની સરકાર સાથે, દેશના યુવાધન સાથે અને દેશના ભવિષ્ય સાથે પણ ગદ્દારી કરી છે. તમે માણસ કહેવડાવવાને લાયક પણ નથી. હું તમને એવી કડક સજા અપાવીશ કે તમારી સાત પેઢી યાદ રાખશે.’
આટલું બોલીને એ ટીમ સાથે બહાર નીકળી ગયા. રેશમના ગાદી-તકિયા અને આલિશાન એ.સી. રૂમમાં ઊંઘનારો સહીરામ કાળ કોટડીના અંધારામાં અદૃશ્ય થઈ ગયો.
અમલપિયાલી:શરણાગતિમાં દાસત્વ છે, સમર્પણમાં ઉદારતા છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/there-is-slavery-in-surrender-generosity-in-dedication-135229457.html

વિનોદ જોશી `સૈયર, હું રે ચપટીક છુટ્ટું ચૂરમું,
સાયબો પાંચે પકવાન...’
- મનહર જાની
તિ-પત્નીનાં સખ્ય જેટલી નિકટતા અન્ય કોઈ સંબંધમાં હોતી નથી. આ એક એવો પવિત્ર સંબંધ છે જેની પવિત્રતા બીજા કોઈ સંબંધોથી કદી અભડાતી નથી. તેમાં શરીર ઓગળી જાય છે અને શ્વાસ એક થઈ જાય છે. દામ્પત્યની આ મધુરતામાં જીભનો અને જીવનનો એમ બેવડો સ્વાદ ભર્યો હોય છે.
આ પંક્તિમાં પોતાના સાહ્યબા વિશે સૈયર પાસે હૈયું ખોલતી કાવ્યનાયિકા ઉન્માદ અને આદર બંને ભાવથી જાણે ઢળી પડે છે! એક તરફ મનમાં પોતાની સાથે એની તુલના ચાલે છે તો બીજી તરફ તેનામાં પોતે ઓતપ્રોત હોવાનો ભાવ જાગે છે.
પોતે શું છે તે વિચારતાં એ કહે છે, `હું રે ચપટીક છુટ્ટું ચૂરમું.’ પોતે હજી જેનો પિંડ બંધાયો નથી તેવી અપક્વ, વેરવિખેર, અણસમજુ. અને સાહ્યબો? સાહ્યબો પાંચેય પકવાન. એ તો સુબદ્ધ, જેનો ઘાટ ઘડાયેલો હોય તેવો. એટલું જ નહીં, સર્વ રીતે સભર. પાંચે પકવાન જેવો કહ્યા પછી તો તેનામાં શી ખામી હોય? વળી પોતે તો એક જેવી જ છે અને સામે પક્ષે આંકડો મોટો છે. સાહ્યબા વિશેના અહોભાવથી છલકાતી નાયિકા પોતાની લઘુતાને બહાને પોતાના પિયુને ગૌરવ આપે છે તે વાત બહુ નિરાળી છે. સાચા સખ્યનું તો તેમાં પ્રાગટ્ય છે જ પણ સાહ્યબાને મોટો કરી દેખાડવાનો અભરખો પણ તેમાં છે.
હવેનો સમય બદલાયો છે તેથી આ પંક્તિમાં રહેલું ભાવસૌંદર્ય બધાંને ન પણ પમાય. પરંતુ દામ્પત્યમાં સંતુલન સાધવાનો એક બીજો પ્રકાર પણ છે, અને તે છે સમર્પણ. તેમાં વધઘટનો હિસાબ નથી હોતો. વ્યવહારનાં ગણિત નથી હોતાં. મારું-તારું નથી હોતું. તેમાં હું અને તું-નું સહિયારાપણું હોય છે. અને તે પણ મિશ્રણસ્વરૂપે નહીં, સંયોજનસ્વરૂપે.
દામ્પત્યની આ સંહિતા ઉકેલવા માટે કોઈ ભણતર જરૂરી નથી. જરૂરી છે હૃદયની વિશાળતા અને ભાવોની નિરામયતા. કશો જ ડંખ નહીં. પૂરેપૂરું શાલીન એવું સમર્પણ. શરણાગતિ અને સમર્પણ એક નથી. શરણાગતિમાં દાસત્વ છે. સમર્પણમાં ઉદારતા છે. વળી, પોતાની સૈયરને પોતાનો સાયબો કેવો છે અને તેની પાસે પોતે કેવી છે તે વાત કરવા જેટલી નિખાલસતા પણ અહીં આપોઆપ ઊકલી આવે છે.
કોઈ દંભ કે છૂપાછૂપી નથી. પોતે જે છે તે છે. તે સ્થિતિ જ પોતાને માટે આનંદદાયી છે તેવો ઉદ્ઘોષ પણ તેમાં છે. સાયબાના ગૌરવની સાથે પોતાનું ગૌરવ પણ જોડાયેલું હોવાનો સહજ આનંદ પણ અહીં છલકે છે. અહીં સાયબા માટેનો ઈર્ષ્યાભાવ નથી. સહજીવનમાં ઓતપ્રોત થઈ ગયેલાં બે વ્યક્તિત્વનો એક અખંડ પિંડ અહીં દેખાય છે. ચૂરમું અને પકવાન અહીં દામ્પત્યજીવનના માધુર્યને ચીંધે છે. પકવાનને ઘાટઘૂટ છે અને ચૂરમું છૂટ્ટું છે. બંનેનો આ સ્વરૂપભેદ ચીંધી આપીને કવિ બંનેમાં રહેલા મીઠ્ઠા સ્વાદનું સમાન તત્ત્વ આગળ કરે છે અને તેને જ મધુર દામ્પત્યની આધારશિલા તરીકે જાણે સમજાવે છે.
જે દામ્પત્યમાં પરસ્પરનો ભેદ નહીં પણ પરસ્પરનું સામ્ય વધુ પરખાતું હોય ત્યાં આવા માધુર્યનો સંભવ હોય. આ સામ્ય વ્યવહારજગતની ભૂમિકાએથી નહીં પણ ભાવજગતની ભૂમિકાએથી જોવાનું હોય છે. આપણા એક લોકગીતમાં રામ અને સીતાના ઝઘડાની વાત આવે છે :
`લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો,
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો!’
કોઈ એવું વિચારી શકે કે પરસ્પર લડવાનાં આયુધો આવાં તે કંઈ હોય? મારવાની અને વેર વાળવાની ઘટનામાં તો કશીક આક્રમકતા હોવી જોઈએ. પણ અહીં લવિંગ નિમિત્તે સ્વાદ અને ફૂલ નિમિત્તે સુગંધનું રામ અને સીતા વચ્ચે પરસ્પર આદાનપ્રદાન થઈ રહ્યું છે તેવું સમજનારને રામ અને સીતાના મધુર દામ્પત્યનો અણસાર તરત આવી જશે.
કવિતા બહુ છેતરામણી હોય છે. તેમાંથી દેખાય તે સિવાયનું જ કશુંક પામવાનું હોય છે. છુટ્ટા ચૂરમામાં પણ પિંડ બંધાઈ શકવાનો સંભવ તો હોય જ છે. પણ મહત્ત્વ પિંડનું નહીં, સ્વાદનું હોય છે તે વાત ભુલાવી ન જોઈએ. }
લક્ષ્યવેધ:સોશિયલ મીડિયાથી અભ્યાસ કર્યો
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/studied-through-social-media-135229454.html

શુલ યાદવના દાદા હરિયાણાથી ગુજરાત પોલીસની સીધી ભરતીમાં સ્ટેટ રિઝર્વ પોલીસમાં લાગ્યા ત્યારબાદ તેમના પિતા પણ હેડ કોન્સ્ટેબલ તરીકે ગુજરાત પોલીસમાં સેવા આપી રહ્યા છે. શાહીબાગના પોલીસ ક્વાટર્સમાં જ અંશુલ ઊછર્યા. પોલીસ કમ્યુનિટીએ સરકારી વ્યવસ્થાઓની કંઇક સમજણ તેમને આપેલી. કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો.
મહેનત એવી ફળી કે આઈ. આઈ. ટી. દિલ્હીમાંથી તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરી. એ ખ્યાતનામ કંપનીની નોકરી કરતા કરતા મનમાં એમ થયું કે આટલી ઊર્જા જાહેર સેવાઓ પાછળ વાપરું તો હૈયાને ટાઢક મળે. પિતાની નોકરી પણ એક છૂપો પ્રેરણાસ્ત્રોત ખરો.
નોકરીની સાથે તૈયારી કરી. બે પ્રયાસો આપ્યા પણ પ્રારંભિક સ્તરે જ નિષ્ફ્ળતા મળી. નોકરી છોડવાનો નિર્ણય કર્યો. એક નિમ્ન મધ્યમ વર્ગનો કમાતો દીકરો એકાએક નોકરી છોડવાનું કહે એમાં વ્યક્તિગત ઈચ્છા કરતાં પરિસ્થિતિની વિવશતાઓ એ નિર્ણયને રોકી શકે. પણ એ પરિસ્થિતિ આગળ અંશુલનો પરિવાર ઝૂક્યો નહીં. અંશુલ યાદવે નોકરી છોડી અને તૈયારી શરૂ કરી. જોખમ અને જવાબદારી એકસાથે.
અંશુલમાં એકલવ્ય વૃત્તિ હતી. મોંઘાદાટ કોચિંગના માર્કેટિંગ કે અન્ય પ્રલોભનોમાં તેઓ ફસાયા નહીં. યૂ-ટ્યૂબ અને ઇન્ટરનેટને ગુરુ બનાવ્યા. પોતાના રિસર્ચ અને સમજણ વડે સ્ત્રોત પસંદ કર્યા.
શરૂઆતની નિષ્ફ્ળતાના બોધપાઠ પણ ઉમેર્યા. અમદાવાદના પોતાના નાનકડા ઓરડાને જાત મહેનતથી અંશુલ અજવાળી રહ્યા હતા. તેમની તૈયારીમાં સતત પ્રયોગો ચાલતા. ટ્રાયલ એન્ડ એરર. પ્રયોગશીલતા અણધારી સફળતા અને નિષ્ફ્ળતા બંને આપી શકે છે. પરિણામ જે પણ હોય, પ્રામાણિક પ્રયોગોમાંથી પેદા થતી સમજણ વધુ ઊંડી અને વ્યાપક હોય છે. પડ્યા પછી વારંવાર ઊભા થવાની એક તાકાત પેદા થઇ જાય છે.
ખ્યાલ આવ્યો કે પ્રિલિમ્સમાં ગોખણપટ્ટી નકામી છે. વિષયને સમજ્યા બાદ, વાંચેલી માહિતી અને નિપજાવેલું જ્ઞાન વાપરતા આવડવું જોઈએ. જ્ઞાન ઘનીભૂત ત્યારે જ થાય જ્યારે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાં તેનો વિનિયોગ કરી શકાય. તરવાનું વિજ્ઞાન સમજવાથી તરવાનું આવડી જતું નથી. છીછરાથી માંડીને ઊંડા ધસમસતા પ્રવાહમાં કૂદો નહીં ત્યાં સુધી પેલું જ્ઞાન વાસ્તવિક જગત માટે નકામું છે.
અંશુલ યાદવે લગભગ 100 જેટલી ટેસ્ટ આપીને, પરીક્ષકના મનને પારખવાનું કૌશલ્ય વિકસાવી લીધું. સવાલો ગૂંચવણમાંથી સડસડાટ નીકળતા આવડી ગયું એટલે જ ત્રીજા પ્રયાસમાં પ્રીલિમિનરી ઉતીર્ણ કરી શક્યા.
ભૂલોની પરંપરા અહીં જ નથી અટકતી. મેન્સમાં ફિઝિક્સને મુખ્ય વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો. વિષય સરસ છે, વસ્તુનિષ્ઠ છે પણ તૈયારી માટે આઠ-નવ મહિના જેટલો સમય માગી લે છે. અંશુલ યાદવનું ગણિત ફિઝકસ વિષયની તૈયારી બાબતે ખોટું પડ્યું. મેન્સમાં પાછા નીચે ગબડી પડ્યા. ગમતો વિષય જો રણનીતિમાં જામતો ન હોય તો પડતો મૂકવો, એવા જોખમી નિર્ણય પર અંશુલ આવ્યા.
ચોથા પ્રયાસમાં પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન વિષય પસંદ કરી સિવિલ સેવા પરીક્ષાના તોફાની દરિયામાં ઝંપલાવ્યું. અચાનક નિર્ણય લેવા એ દરિયામાં ચાલતા વહાણની દિશા એકાએક બદલવા જેવું છે, દૂરથી સહેલું લાગે પણ સઢનો મોરો ફેરવતા ખલાસીનો દમ નીકળી જાય.
થોડું ઝીણું આયોજન કર્યું. ઉપલબ્ધ સામગ્રીમાંથી કઈ વાંચવી એ પસંદ કરી અને તેને જ વળગીને તૈયારીના વહાણને આગળ ધપાવ્યું. અને મેઈન્સની લહેરમાં અંશુલભાઈનું વહાણ સહીસલામત તરી ગયું.
પર્સનાલિટી ટેસ્ટમાં ‘સ્પીપા’ સાથે જોડાયા. પર્સનાલિટી ટેસ્ટમાં સંવાદ થકી અભિવ્યક્તિ કરવાની છે. થોડી જ મિનિટમાં આટલાં વર્ષોની યાત્રાનો અર્ક પેનલ પામી શકે એનો પ્રયાસ કરવાનો છે. મનમાં સ્પષ્ટતા હોય તો અભિવ્યક્તિ સચોટ જ થાય. ભાષાના બંધનો સ્પષ્ટ વિચારોની અભિવ્યક્તિને વધારે રોકી શકતા નથી.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પૃષ્ઠભૂમિ ધરાવતા અંશુલભાઈને ગુજરાતમાં પુન: પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો વિશે સવાલો પુછાયા. ખાસ કરીને ગુજરાતમાં સૌર ઊર્જાની-સોલર રૂફ ટોપની અન્ય રાજ્યોની સાપેક્ષે સફળતા વિશે પ્રશ્ન પુછાયો. મહાકુંભથી લઈને ઇઝરાયલ-હમાસ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધી સવાલો પૂછવામાં આવ્યા.
સિવિલ સેવા પરીક્ષાના કોઈ પણ તબક્કામાં અલગ અલગ વિષયોમાંથી સીધા પ્રશ્નો પુછાઇ શકે. મગજને એક વિષયમાંથી બીજા વિષયમાં તરત પ્રવેશ મેળવવા સક્ષમ બનાવવું પડે. શક્ય છે કે સિવિલ સેવકોને જાહેર જીવનમાં એક જ અડધા કલાકમાં ચાર અસંબંધિત બાબતો અંગે તાત્કાલિક નિર્ણય લેવા પડે. આવા ગુણો પર્સનાલિટી ટેસ્ટમાં ઘણા ઉપયોગી નીવડે.
અંશુલ યાદવે જીવનને સંતુલનમાં રાખ્યું. રોજ એક કલાકની કસરત, ચાલવું, દોડવું ફરજિયાત. બાકીનો સમય વાંચતા. સોશિયલ મીડિયાને સાવ બાકાત નહોતું કર્યું, પણ તેનો ઉપયોગ અભ્યાસ માટે કર્યો. જેમ કે ‘એક્સ’ (ટ્વીટર) ઉપર તેઓ અલગ અલગ વિષયના વિદ્વાનોને ફૉલો કરતા. તેનો ફાયદો એ કે સમસામયિક ઘટનાઓનું વિશદ્દ અને તત્કાલિન વિશ્લેષણ મળી શકતું. ઘટનાનાં પરિમાણો સમજી શકાતાં. પોતાના જવાબોમાં ઉમેરી શકાતા. }
રણમાં ખીલ્યું ગુલાબ:વીતી ગઇ તે વાતનો ઉલ્લેખ ના કર, જાગરણની રાતનો ઉલ્લેખ ના કર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/dont-mention-what-has-passed-dont-mention-the-night-of-vigil-135229443.html

ર્વરીએ બેગમાં ત્રણ દિવસ પહેરવાનાં કપડાં મૂક્યાં, એક શૉલ મૂકી, ટ્રૂથબ્રશ, પેસ્ટ, પગમાં પહેરવાનાં મોજાં, ફેસ ક્રીમ, બોડી મોઇશ્ચરાઇઝર ડાયરી, પેન બધું યાદ કરીને બેગમાં ગોઠવ્યું.
‘કોલકાતામાં ક્યાં રહીશ? હોટલમાં?’ પત્નીની ગતિવિધિ જોઇ રહેલા મકરંદે પૂછ્યું.
‘ના, બાબા, હોટલમાં રહેવાનું તો મોંઘું પડે. હું ત્રણ દિવસ માટે બિઝનેસ કોન્ફરન્સમાં ભાગ લેવા જઇ રહી છું, કોઇ હાઇ-ફાઇ ફેશન પરેડમાં મહાલવા માટે નથી જઇ રહી.’ શર્વરીએ થોડુંક હસવામાં અને થોડુંક વસવસાના ભાવમાં કહી દીધું.
‘તેં મારા સવાલોનો જવાબ ન આપ્યો, સ્ત્રીનું આ જ દુ:ખ હોય છે. કોઇ વાતનો સીધો જવાબ જ ન આપે. મેં એ પૂછ્યું કે તું કોલકાતામાં ક્યાં રહેવાની છો?’ મકરંદ વ્યવસાયે અને સ્વભાવે એન્જિનિયર હતો.
શર્વરી રમતિયાળ સ્મિત વેરીને બોલી, ‘હું વર્કિંગ વુમન છું, હું માત્ર વુમન નથી. એન્જિનિયર થયા એટલે નારી-નારીનો ભેદ પણ ન સમજો એ કેમ ચાલે! કોલકાતામાં હું મારા કોલેજ કાળના મિત્ર અને તખ્તાના જાણીતા કલાકાર અનિમેષ દોશીના ઘરે ઊતરવાની છું. મેં એમને જાણ પણ કરી દીધી છે. મારા રહેવાનો અને ભોજનનો ખર્ચ બચી જશે. માત્ર જવા-આવવાનું ટિકિટભાડું જ ખર્ચવાનું છે.’
શર્વરીની વાતમાં તથ્ય તો હતું પણ એની વાતમાં એક-બે મોટાં ગાબડાં પણ હતાં. આજથી સાડા ચાર દાયકા પૂર્વેની આ ઘટના. ત્યારે મધ્યમ વર્ગીય ઘરોમાં લેન્ડલાઇન ટેલિફોન પણ ન હતો. એ જમાનામાં પોસ્ટ કાર્ડથી વહેવાર ચલાવવાની પરંપરા હતી. જ્યાં નિકટનું સગપણ ન હોય ત્યાં મહાત્મા ગાંધીજીની જેમ પોસ્ટ કાર્ડમાં એક અથવા બે લીટીઓમાં વાત સમેટી લેવાની ફેશન ચાલતી હતી.
શર્વરી એક સારી બિઝનેસ વુમન તરીકે ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત થઇ ગઇ હતી. અનિમેષ દોશી તખ્તાના સિનિયર કલાકાર હતા. એમની રોમેન્ટિક ભૂમિકાઓએ અને રંગીન છટાઓએ યુવા પ્રેક્ષકોના દિમાગ પર કામણ પાથર્યું હતું. શર્વરી એકાદ વાર કોલેજના રિ-યુનિયનમાં એમને મ‌ળી હતી. ત્યારે અનિમેષે કહ્યું હતું, ‘કોલકાતા આવવાનું થાય છે? જો આવો તો મળજો.’
ત્યારે શર્વરીએ અનિમેષનું એડ્રેસ ટપકાવી લીધું હતું. ફોન નંબરની જરૂર એને લાગી ન હતી. શર્વરીએ પોસ્ટ કાર્ડ રવાના કરી દીધું: ‘શનિવારે કોલકાતા આવું છું. તમારા ઘરે રહેવાની છું. ત્રણ દિવસ આખા પરિવારને પજવવાની છું. લિ. શર્વરી મહેતા.’
પત્રના જવાબની પ્રતીક્ષા કર્યા વગર જ શર્વરી નીકળી પડી. આમ પણ પ્રત્યુત્તર માટેનો સમય જ ક્યાં રહ્યો હતો? પત્ર જ્યારે અનિમેષને મળ્યો ત્યારે શુક્રવાર થઇ ગયો હતો. અનિમેષ જવાબ લખીને રવાના કરે તો પણ એ પત્ર શર્વરીને મળવાનો ન હતો. અનિમેષે માંડી વાળ્યું.
શનિવારે સવારે અગિયાર વાગે ડોરબેલ વાગી. બારણાં ખૂલ્યાં. શર્વરી અનિમેષને જોઇ રહી. છુટ્ટી પાટલીનું ધોતિયું, શ્વેત રંગનો ઝભ્ભો, ખભા પર ખાસ અદાથી ગોઠવેલી શૉલ, કાળી ફ્રેમનાં ચશ્માં અને માથાના લાંબા વાળ સાથે ગુજરાતી કલાકાર નખશિખ બંગાળી ભદ્રપુરુષ જેવા શોભતા હતા.
‘ક્યાં સુધી બહાર જ ઊભાં રહેશો? અંદર નહીં આવો?’ અનિમેષે આવકાર આપ્યો.
શર્વરીએ ઘરમાં પ્રવેશ કર્યો. વિશાળ બંગલો હતો. સીસમનું પોલિશ કરેલું ફર્નિચર હતું. છત પર ટાંગેલું ઝુમ્મર અને ફર્શ પર બિછાવેલો ગાલીચો ગવાહી આપતો હતો કે અનિમેષ ખૂબ સારું ધન કમાયા હશે.
‘ચા તૈયાર છે. એ પી લીધાં પછી તમે ‘ફ્રેશ’ થઇ જાવ. બાર વાગે ભોજન પતાવીને આપણે નીકળીશું. પ્રથમ સેશન તો સમાપ્ત થઇ ગયું હશે, આપણે બીજા સેશનમાં જોડાઇ શકીશું.’ અનિમેષે કહ્યું.
‘મારે બીજા સેશનમાં જ બોલવાનું છે.’ શર્વરીને ચાનો બંગાળી ટેસ્ટ ગમ્યો હોય એવું લાગ્યું. ભોજન પતાવીને બંને બે વાગે નીકળી પડ્યાં. શર્વરી એટલી ઉત્સાહમાં હતી કે એને એ વાતનો વિચાર જ ન આવ્યો કે અનિમેષના બંગલામાં બીજું કોઇ કેમ હાજર નથી! કદાચ એણે એવું પણ ધારી લીધું હશે કે પત્ની બહાર કોઇક બહેનપણીને મળવા ગઇ હશે અને સંતાનો કોલેજમાં ભણવા ગયાં હશે.
બપોરનું બિઝનેસ -સેશન પૂર્ણ કરીને બંને ઘરે આવ્યાં. સાંજ ઢળી રહી હતી. શિયાળાના કારણે અંધારું વહેલું ઊતરી આવ્યું હતું. બંગલામાં દાખલ થયા પછી પહેલો સવાલ શર્વરીએ આ પૂછ્યો, ‘ઘરમાં કેમ કોઇ દેખાતું નથી?’
‘હોય તો દેખાયને?’ અનિમેષે ફોડ પાડ્યો, ‘પત્ની અને બંને સંતાનો સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગુજરાત ગયાં છે. પાંચ દિવસ માટે.’
શર્વરીના દેહમાં આછી કંપારી આવી ગઇ, ‘ઓહ! એવું છે? તમે મને જણાવ્યું નહીં?’
‘કેવી રીતે જણાવું? તમે જણાવવા જેટલો સમય જ ક્યાં આપ્યો?’ અનિમેષ જાણે વગર અપરાધે ખુલાસો કરી રહ્યો!
‘એ મારી ભૂલ હું સ્વીકારું છું. પણ આજે બપોરે હું આવી ત્યારે તો તમે મને આ વાત કહી શક્યા હોત!’ શર્વરીના પ્રશ્નમાં ફરિયાદ ન હતી પણ હવે શું કરવું એ વાતની મૂંઝવણ ઝલકતી હતી.
‘કેવું લાગે? આપણે ત્યાં કોઇ મહેમાન આવે, હજુ તો ઘરમાં પગ મૂકે અને તમે એને કહી દો કે ઘરમાં હું એકલો જ છું, તમારે બીજે ક્યાંક રહેવા જવું પડશે, તો…!’ સોરી, હું એવું ન કહી શક્યો. હવે તમે જેમ કહો તેવી વ્યવસ્થા હું…’ અનિમેષ ઢીલો પડી ગયો.
શર્વરી મજબૂર હતી. અત્યારે આવા સમયે હોટલમાં ‘શિફ્ટ’ થવું પરવડે તેવું ન હતું. કોલકાતામાં એનું બીજું કોઇ પરિચિત ન હતું. એણે જે હતું તે સ્વીકારી લીધું. ભોજન પછી અનિમેષ અને શર્વરી મોડી રાત સુધી કોલેજની યાદોને વાગોળતાં બેસી રહ્યાં. એમાંને એમાં રાત્રિના બે વાગી ગયા.
શર્વરીએ બગાસું ખાધું. અનિમેષ એને બેડરૂમ તરફ દોરી ગયો, ‘આ તમારા માટે છે. હું બાજુના બેડરૂમમાં સૂઇશ. બંને રૂમમાં એટેચ્ડ ટોઇલેટ-બાથરૂમ છે. તમારા માટે પાણીની બોટલ મૂકી દીધી છે. કોઇ વસ્તુની જરૂર પડે તો તમે મને જગાડી શકો છો. શુભ રાત્રિ!’
શર્વરી બેડરૂમમાં ચાલી ગઇ. બંને શયનખંડની વચ્ચે જે કોમન ડોર હતું તેમાં એક પણ બાજુએ સ્ટોપર ન હતી. બારણું એમ જ વાસી દઇ શકાતું હતું. શર્વરી ઊંઘી ન શકી. અનિમેષની છાપ રસિક કલાકાર તરીકેની હતી. અંધારાનું સામ્રાજ્ય, બે વિજાતીય પાત્રો અને દેહને લલચાવનારું એકાંત. શું ન થાય?
અનિમેષના બેડરૂમમાં જરાક ખખડાટ જેવું થાય તો અહીં શર્વરી પથારીમાં બેઠી થઇ જાય. એ આવ્યા! હમણાં મને જકડી લેશે. હું છટકવા માટે તરફડિયાં મારીશ, પણ એના જેવા ઊંચા મજબૂત પુરુષને હું કેવી રીતે પહોંચી વળીશ? ચીસો પાડીશ તો કોણ સાંભ‌ળશે?
સાડા ત્રણ વાગ્યા. કશું જ ન થયું. શર્વરી ઊભી થઇ અને બારણાં પાસે જઇને બીજી બાજુએ શું ચાલી રહ્યું છે તે સાંભળવા માટે કાન સરવા કરીને ઊભી રહી. અનિમેષનાં નસકોરાં બોલતાં હતાં એનો અવાજ સંભળાયો. શર્વરીને આમ તો ‘હાશ’ થવી જોઇએ, એને બદલે નિરાશા થઇ: ‘લે, આ તો ઊંઘી ગયા છે! હવે એ મારા બેડરૂમમાં નહીં…?’
ચાર વાગી ગયા. શર્વરી અવશપણે ઊભી થઇ, વચ્ચેનું બારણું ઉઘાડીને બાજુના બેડરૂમમાં ગઇ, નાઇટ લેમ્પના આછા પ્રકાશમાં ગાઢ નીંદરમાં પોઢેલા સોહામણા અનિમેષને નીરખી રહી; પછી પથારીમાં એની બાજુમાં સૂઇ ગઇ. અનિમેષની ઊંઘમાં ખલેલ પડી. એણે આંખો અડધી-પડધી ઉઘાડી, પડખાંમાં સૂતેલી શર્વરીને જોઇ પછી એ ટૂંટિયું વાળીને સૂતેલી શર્વરીના દેહ પર પોતાનો વજનદાર હાથ મૂકીને ફરી પાછો ઘસઘસાટ ઊંઘી ગયો. હવે શર્વરીને પણ ઊંઘ આવી ગઇ.
સામાન્ય સમજણ ધરાવતા લોકોની અપેક્ષાનુસાર એ બંનેના તન વચ્ચે તો કશું જ બન્યું ન હતું, પણ એ બંનેના મન વચ્ચે ઘણુંબધું રચાઇ ગયું. }
(શીર્ષકપંક્તિ: દિલીપ મોદી)
2025/07/14 20:19:12
Back to Top
HTML Embed Code: